પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતના 65.05 લાખ દર્દીઓ પાછળ રૂપિયા 14922 કરોડ ખર્ચવામાં આવ્યા છે. આ યોજના હેઠળ સૌથી વધુ સારવાર ખર્ચ થયો હોય તેવા રાજ્યમાં ગુજરાત બીજા સ્થાને છે. આ ઉપરાંત ગુજરાતમાંથી છેલ્લા 6 વર્ષમાં 233 હોસ્પિટલ આ યોજનામાંથી નીકળી ચૂકી છે.
છેલ્લાં 6 વર્ષમાં 230થી વધુ હોસ્પિટલ આયુષ્યમાન યોજનામાંથી નીકળી ગઈ
સાધારણ સ્થિતિ ધરાવતા દર્દીને પણ કોઈ આર્થિક બોજ વિના સારામાં સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે આ યોજનાનો 2018માં પ્રારંભ થયો હતો. પહેલી માર્ચ 2025ની સ્થિતિએ આયુષ્યમાન યોજના પાછળ સૌથી વધુ દર્દી તેમજ ખર્ચ નોંધાયો હોય તો તેમાં આંધ્ર પ્રદેશ મોખરે છે. આંધ્ર પ્રદેશમાં 79.15 લાખ દર્દીઓ પાછળ રૂપિયા 17,787 કરોડનો ખર્ચ છેલ્લાં સાડા 6 વર્ષમાં કરાયો છે. બીજી બાજુ ગુજરાત આ યાદીમાં બીજા સ્થાને છે. ગુજરાતના પ્રત્યેક દર્દી પાછળ આયુષ્યમાન યોજના પેટે સરેરાશ રૂપિયા 22 હજાર ખર્ચવામાં આવ્યા છે. સમગ્ર દેશમાંથી આ યોજના પેટે કુલ રૂપિયા 8.9 કરોડ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે અને તેમની પાછળ રૂપિયા 1.26 કરોડનો ખર્ચ થયો છે.
સરકાર દ્વારા વધુ હોસ્પિટલ જોડવાનો પ્રયાસ
આ આયોજનમાં પ્રત્યેક પરિવારને સરેરાશ પાંચ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળે છે. 13866 ખાનગી સહિત કુલ 30957 હોસ્પિટલ આ યોજના સાથે જોડાયેલી છે. સરકાર દ્વારા વધુને વધુ હોસ્પિટલો આ યોજનામાં જોડાય તેના માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. પરંતુ ચૂકવણીમાં ધાંધિયાને પગલે અનેક ખાનગી હોસ્પિટલો હવે આ યોજનામાંથી બહાર નીકળી રહી છે. 2024-25માં સૌથી વધુ હોસ્પિટલો આ યોજનામાંથી બહાર નીકળી હોય તેમાં ગુજરાત મોખરે છે.
ગુજરાતમાં આ વર્ષની 14 જાન્યુઆરી સુધીમાં જ ખાનગી હોસ્પિટલોએ રૂપિયા 31.58 કરોડના ખોટા બિલ મૂકીને ક્લેઇમ પાસ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોગ્ય વિભાગ પહેલાંથી જ સતર્ક રહ્યું હોત તો ખોટા ક્લેઇમ પાસ કરાવવાનો આ આંક હજુ વધારે ઊંચો ગયો હોત તેમ જાણકારોનું માનવું છે. PMJAY હેઠળ ખાનગી હોસ્પિટલો દ્વારા બિલની સૌથી વધુ ગેરરીતિ થઈ હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ રૂપિયા 139 કરોડ સાથે મોખરે છે.
