• મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી વિસ્તારમાં આવેલ કાજનશા પીર દરગાહ, ગાજીપીર દરગાહ, કોઝ વે દરગાહ, નવ નાલા પીર દરગાહ સહિત ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા…….

જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી સહિતના વિસ્તારોમાંથી ગત મોડી રાત્રે ૭ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણોને દૂર કરવા માટેનું મેગા ડીમોલેશન હાથ ધરી લેવામાં આવ્યું હતું અને સજ્જડ પોલીસ પહેરા હેઠળ સાત જેટલા ધાર્મિક સ્થળો સહિતના બાંધકામોને દૂર કરી લેવામાં આવ્યા હતા અને અંદાજે ૯,૦૦૦ સ્ક્વેર ફૂટ જગ્યા ને ખુલ્લી કરાવી દેવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા ગુપ્ત રીતે મોડી રાત્રે પૂર્ણ કરી લેવામાં આવી હતી.

ભારતીય દરિયાઇ સુરક્ષાને સુદઢ બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બેડી મરીન પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઇન્ટ પાસે આવેલા અનધિકૃત ધાર્મિક દબાણોને ધ્યાનમાં લેવાયા હતા. તેમજ મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાયવર્સિટી તથા મેન્ગ્રુવને જોખમ રૂપ એવા કાજનશા પીર દરગાહ, ગાજીપીર દરગાહ, કોઝ વે દરગાહ, નવ નાલા પીર દરગાહ સહિત સ્થળો પર આવેલા કુલ ૭ અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ભારે જામનગર પોલીસ બંદોબસ્ત ની હાજરીમાં ગત મોડી રાત્રે જેસીબી મશીનો, હિટાચી મશીન સહિત ની મશીનરીને કામે લગાડીને મોટો કાફલો ડીમોલેશન ની કાર્યવાહીમાં જોડાયો હતો અને સમગ્ર ઓપરેશન ગઈકાલે મોડીરાત્રે ગુપ્ત રીતે પાર પાડી લેવામાં આવ્યું હતું અને કુલ ૭ જેટલા ધાર્મિક સ્થળના દબાણો દૂર કરી લેવાની કાર્યવાહી વહેલી સવાર સુધીમાં જ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે જગ્યાએ રાત્રિના સમયે ધાર્મિક સ્થળો હતા. તે તમામ જગ્યા પર જેસીબી વગેરે ફેરવી દઈ તમામ જગ્યા ને સમથળ કરી ને ખુલ્લી કરાવી દેવામાં આવી છે.
કુલ ૧૫,૪૦૦ ચોરસ ફૂટ એરિયામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી અને તેમાં અંદાજે છેલ્લા દસ વર્ષથી અંદાજે ૯૦૦૦ સ્ક્વેર ફૂટમાં દબાણ ખડકી દેવાયું હતું. જે તમામ દબાણો હટાવી લઇ સંપૂર્ણ જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી છે. આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે સંકલનમાં રહીને કરવામાં આવી છે.

Author: jamnagaruday
Post Views: 156