પંજાબ પોલીસે મોહાલીના નવા એરપોર્ટ સ્ક્વેર પાસે લાંબા સમયથી ભૂખ હડતાળ પર રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલને કસ્ટડીમાં લીધા છે. આ ઉપરાંત, સરવન સિંહ પાંધેર, અભિમન્યુ કોહાડ, કાકા સિંહ કોટડા અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સરકારે શંભુ અને ખાનૌરી સરહદ ખાલી કરાવવાની રણનીતિ બનાવી છે. જેના અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે.
શંભુ અને ખાનૌરી બોર્ડર પર કાર્યવાહી તેજ
મોહાલી-ચંદીગઢ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે. પોલીસે સાવચેતીના પગલાં લીધા અને પ્રદર્શનકારીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે વાતાવરણ તંગ બન્યુ છે.આ બધા નેતાઓ લાંબા સમયથી ખેડૂતોની માંગણીઓ માટે લડી રહ્યા છે અને સરકારને લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી સહિત અન્ય માંગણીઓ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે સાતમા રાઉન્ડની વાતચીત થઈ. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પંજાબ સરકાર વતી, નાણામંત્રી હરપાલ સિંહ ચીમા અને કૃષિમંત્રી ગુરમીત સિંહ ખુદિયાન બેઠકમાં હાજર રહ્યા હતા.
બેઠકમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની કાનૂની ગેરંટી, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, લોન માફી, વીજળીના દરમાં કોઈ વધારો નહીં, ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય જેવી માંગણીઓનો સમાવેશ થાય છે. બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે ચર્ચા સકારાત્મક રહી છે અને આગામી બેઠક 4 મેના રોજ યોજાશે.
ખેડૂતો સેવી રહ્યા છે કોઈ નક્કર ઉકેલની આશા
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે ખેડૂતોને આશા છે કે સરકાર તેમની માંગણીઓનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાના 28 સભ્યોના પ્રતિનિધિમંડળે બેઠકમાં ભાગ લીધો હતો. આ પહેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલ એમ્બ્યુલન્સમાં સભા સ્થળે પહોંચ્યા હતા. દલેવાલે જણાવ્યું હતું કે તેઓ MSPની કાનૂની ગેરંટી માટે સરકાર તરફથી પૂરતા પ્રતિભાવની અપેક્ષા રાખે છે.
