IPL 2025 : IPLની આગામી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તેના અભિયાનની શરૂઆત 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ સાથે કરશે. હાર્દિક પંડ્યા પર આ મેચ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે CSK સામેની મેચમાં મુંબઈની કમાન કોણ સંભાળશે, તે અંગે ખુદ હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો છે.
5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPL 2025માં તેના અભિયાનની શરૂઆત કરશે. હાર્દિક પંડ્યા આ મેચમાં નહીં રમે, કારણ કે ગત સિઝનમાં ટીમની છેલ્લી ગ્રૂપ મેચ દરમિયાન તેને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને આગામી IPLની પ્રથમ મેચમાંથી બહાર રહેવું પડશે. ત્યારથી તમામ ચાહકોના મનમાં એક સવાલ છે કે હાર્દિકની ગેરહાજરીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટીમની કમાન કોણ સંભાળશે. તે રોહિત શર્મા હશે, સૂર્યકુમાર યાદવ કે અન્ય કોઈ હશે ? આ સવાલનો જવાબ સામે આવ્યો છે કારણ કે હાર્દિક પંડ્યાએ પોતે જ નામ જાહેર કર્યું છે.

હાર્દિકે પંડ્યા જણાવ્યું કેપ્ટનનું નામ
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025ની શરૂઆત પહેલા પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં હાર્દિક પંડ્યા અને મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન હાર્દિકે કહ્યું કે સૂર્યકુમાર યાદવ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ટીમની સિઝનની ઓપનર મેચમાં કમાન સંભાળશે. તેણે કહ્યું કે, સૂર્યકુમાર યાદવ પણ ભારતનો કેપ્ટન છે. તે ટાટા આઈપીએલ 2025ની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે. ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ કહ્યું કે તેમને IPL 2024થી હાર્દિક પર એક મેચના પ્રતિબંધ વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.
હાર્દિક પંડ્યાએ પોતાને નસીબદાર ગણાવ્યો અને કહ્યું કે તેની સાથે ત્રણ કેપ્ટન રમી રહ્યા છે. તેણે કહ્યું કે, હું નસીબદાર છું કે મારી સાથે ત્રણ કેપ્ટન રમી રહ્યા છે – રોહિત, સૂર્યા અને બુમરાહ. તેમનો હંમેશા મને સાથ મળ્યો છે અને જ્યારે પણ મને કોઈ મદદની જરૂર હોય ત્યારે તે હંમેશા મારી સાથે હોય છે. તેણે આગળ કહ્યું કે, આ વર્ષ નવું વર્ષ છે. ઘણું બધું બદલાઈ ગયું છે, ઘણો પ્રેમ અને ખુશીઓ ઉમેરાઈ છે. હંમેશા ઉત્તેજના, નવા પડકારો હશે જે મને ગમે છે. મારા માટે સૌથી મહત્વનો ભાગ ટીમને મદદ કરવાનો છે.
શા માટે હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ ?
તમને જણાવી દઈએ કે ગત સિઝનમાં MI તેની છેલ્લી ગ્રુપ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 18 રનથી હારી ગઈ હતી. આ મેચમાં હાર્દિક અને તેની ટીમ સલો ઓવર રેટ માટે દોષિત ઠર્યા હતા, જે તેમનો સીઝનનો ત્રીજો ગુનો હતો. નિયમો અનુસાર, જો કેપ્ટન એક સિઝનમાં ત્રણ વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો તેના પર એક મેચનો પ્રતિબંધ લાગે છે. તે સિઝનમાં મુંબઈ પ્લેઓફ માટે ક્વોલિફાય થયું નહોતું, તેથી હાર્દિક પંડ્યા IPL 2025ની તેની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે.
