વિશ્વ ચકલી દિવસે જામનગરમાં અનોખી પહેલ
જામનગર: જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે એક અનોખી પહેલ થઈ રહી છે. ભાજપના વોર્ડ નં.02 ના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન જગતભાઈ રાવલ દ્વારા સતત દસમા વર્ષે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લાખોટા નેચર કલબ, જામનગર ફોટોગ્રાફર એશોસીએશન, નવાનગર નેચર કલબ, ભારત તિબ્બત સંઘ જામનગર અને વિવિધ જાયન્ટસ ગ્રુપ સહિતની સંસ્થાઓ જોડાયેલી છે. તા.20 માર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે 10,000 માળા અને પાણીના કુંડાનું વિતરણ થશે. ડિમ્પલબેન રાવલ, જે ભારત તિબ્બત સંઘના પ્રદેશ મહિલા સચિવ પણ છે, તેઓ પોતાના કોર્પોરેટર તરીકેના આર્થિક ભથ્થાનો ઉપયોગ આ સેવાકાર્યમાં કરે છે. છેલ્લા નવ વર્ષમાં તેમણે 75,000 ચકલીના માળા અને 15,000 પાણીના કુંડાનું વિતરણ કર્યું છે.
વિતરણ કાર્યક્રમ હવાઈ ચોક (સવારે 10-11), લાલબંગલા સર્કલ (બપોરે 12-01), પંચેશ્વર ટાવર (સાંજે 4-5) અને ડીકેવી સર્કલ (સાંજે 6-7) ખાતે યોજાશે. રાજકીય આગેવાનો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સંતો-મહંતો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ વિતરણમાં જોડાશે. ઉનાળાની ગરમીમાં પક્ષીઓને બચાવવા માટે શહેરીજનોને પોતાના ઘર, ફળિયા અને અગાસી પર માળા અને પાણીના કુંડા મૂકવા અપીલ કરવામાં આવી છે.
