જામનગર: આ કેશની હકીકત એવી છે કે, ભણગોર મુકામે રહેતા ફરીયાદી પ્રદયુમનસિંહ લાલુભા જાડેજા ના ભાઈ વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજા (મરણજનાર) ઉપર જીવિલેણ હથિયારો સાથે હુમલો કરી તેનુ મૃત્યુ નીપજાવવાના ગુન્હાના કામે દાખલ થયેલ ફરિયાદ જે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજી.નં. 11202036230680-2023થી આઈ.પી.સી. કલમ-302, 323, 114, 120(બી) તથા જી.પી. એકટની કલમ-135(1) મુજબ નોંધાવેલ છે. જેમાં કુલ ત્રણ આરોપીઓ પૈકીના એક આરોપી રાજદિપસિંહ જગદિશસિંહ જાડેજા ઘ્વારા પોતાના પિતાને હાર્ટની બીમારી છે અને 60% બ્લોકેજ છે અને તેઓની વિશેષ સારવારમાં પુત્ર તરીકે તેની જરૂર છે તેમ જણાવી અને પિતાના મેડીકલ સારવારના જુના પેપર્સ મુકી અને નામદાર કોર્ટ સમક્ષ પોતાને વચગાળાના જામીન ઉપર મુક્ત કરવા માટેની અરજી કરવામાં આવેલ હતી.
આ ગુન્હાના કામે સ્પેશ્યલ પી.પી. તરીકે જામનગરના સિનિયર વકિલશ્રી બિમલભાઈ ચોટાઈની કાયદા વિભાગ ધ્વારા નિમણુક કરવામાં આવેલ હોય, જેથી આ જામીન અરજી સબંધે તેઓએ સરકાર તરફે હાજર થઈ અને એડિનલ સેશન્સ જજ સાહેબશ્રીની કોર્ટ સમક્ષ આરોપીની અરજીની વિરોધ કરી રજુઆત કરેલ કે, આરોપી ઘ્વારા જે કારણો વચગાળાના જામીન માટે પિતાની બીમારીના રજુ કરવામાં આવેલ છે તે જોતા તેમાં કયાંય આરોપીના પિતાને હાર્ટની નળીઓમાં 60 % બ્લોકેજ હોવાની હકીકત જણાતી નથી. આરોપી ઘ્વારા યેનકેન પ્રકારે જામીન મુક્ત થવા માટે હાર્ટનું નોર્મલ ફંકશન જે 60% લોહીના પરિભ્રમણ સબંધે લખાયેલ છે તેને ખોટી રીતે 60% બ્લોકેજ તરીકે દર્શાવી આરોપી ઘ્વારા ખોટી વિગતો સાથે જામીન અરજી કરવામાં આવેલ છે. આ આરોપી સામે ગંભીર ગુન્હાનો કેશ પુરાવો તપાસવા માટે પેન્ડીંગ છે ત્યારે જો આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડા થાય અને ફરીયાદ પક્ષના કેશને નુકશાન થાય તેમ છે. તેમજ, આવા ખોટા કારણ દર્શાવી અરજી કરનાર અરજદાર આરોપીની અરજી રદ કરી દંડ કોસ્ટનો હુકમ કરવા રજુઆત કરેલ હતી. તેમજ, તપાસનીશ અધિકારીનું સોગદનામુ રજુ કરી જી.જી.હોસ્પીટલના મેડિશીન વિભાગના ડોકટરશ્રીનો અભિપ્રાય રજુ કરી અને તેમાં પણ સ્પષ્ટ રીતે આ આરોપીએ રજુ કરેલ પેપર્સ ઉપરથી હાર્ટની નળીઓ 60% બ્લોકેજ હોવાનું નિદાન થઈ શકે નહી તે અંગેનો ડોકટરશ્રીનો અભિપ્રાય પણ રજુ કરી અરજી રદ કરવા રજુઆત કરેલ હતી.
ઉપરોક્ત તમામ રજુઆતો, ત.ક.અ.શ્રીનું સોગંદનામુ તથા રજુ થયેલ ડોકટરશ્રીનો અભિપ્રાય તથા પેપર્સ ઘ્યાને લઈ નામદાર એડિશ્નલ સેશન્સ જજશ્રી એસ.સી. વેમુલા સાહેબ દ્વારા આરોપી રાજદિપસિંહ જગદિશસિંહ જાડેજા ની વચગાળાની જામીન અરજી ના કારણો ખરા જણાતા ન હોય અને ખોટી રજુઆતો સાથે વચગાળાના જામીનની અરજી કરવામાં આવેલ તેવી ફરીયાદ પક્ષની રજુઆત તથા પેપર્સ ધ્યાને લઈ આરોપીની વચગાળાના જમીનની અરજી રદ કરી અને અરજદાર આરોપીને રૂા.2500/-ની કોસ્ટ એક માસમાં જમા કરાવાનો હુકમ કરેલ છે. આ કામે સરકાર તરફે સ્પેશ્યલ પી.પી. બિમલભાઈ ચોટાઈ રોકાયેલ હતા.
