વન્ય પ્રાણીઓની સંભાળ માટે અનંત અંબાણીની પહેલ ‘વનતારા’ને ‘પ્રાણી મિત્ર’ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત સરકાર તરફથી કોર્પોરેટ શ્રેણીમાં પ્રાણી કલ્યાણ ક્ષેત્રમાં આ દેશનું સર્વોચ્ચ સન્માન છે. આ પુરસ્કાર રાધે કૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા અસાધારણ કાર્યને માન્યતા આપે છે. જે વનતારાની માલિકીની સંસ્થા છે અને હાથીઓના બચાવ અને સંભાળ માટે કામ કરે છે.
આ પુરસ્કારનું કેન્દ્રબિંદુ વનતારામાં આવેલું હાથી સંભાળ કેન્દ્ર છે, જે ૨૪૦ થી વધુ બચાવાયેલા હાથીઓ માટે આશ્રયસ્થાન છે. આ કેન્દ્રમાં સર્કસના ૩૦ હાથી, લાકડા ઉદ્યોગના ૧૦૦ થી વધુ હાથીઓ અને સવારી અને શેરીમાં ભીખ માગવા જેવી શોષણકારી પ્રથાઓમાંથી બચાવેલા અન્ય હાથીઓ રહે છે. ખાસ રચાયેલ જંગલ ‘વનતારા’ ૯૯૮ એકરમાં ફેલાયેલું છે, જ્યાં હાથીઓને મુક્તપણે ફરવાની સ્વતંત્રતા છે. વનતારાના હાથીઓને વિશ્વ કક્ષાની પશુચિકિત્સા સંભાળ અને સારવાર મળે છે.
વનતારાના સીઇઓ વિવાન કરણીએ ભારત તરફથી આ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો અને પ્રાણી કલ્યાણ પ્રત્યે વનતારાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. ભારતની જૈવવિવિધતાના રક્ષણ માટેના તેમના મિશન વિશે બોલતા તેમણે કહ્યું, “આ પુરસ્કાર એ અસંખ્ય વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ છે જેમણે ભારતમાં પ્રાણીઓના રક્ષણ અને સંભાળ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.”
વિવાન કરણીએ કહ્યું, “વનતારામાં પ્રાણીઓની સેવા કરવીએ ફક્ત ફરજ નથી પણ આપણો ધર્મ અને સેવા છે.” કોર્પોરેટ શ્રેણીમાં ‘પ્રાણી મિત્ર’ એવોર્ડ કોર્પોરેશનો અને સંસ્થાઓને પ્રાણી કલ્યાણમાં તેમના સતત યોગદાન માટે માન્યતા આપે છે, જેમાં સંબંધિત પહેલ માટે સી.એસ.આર ભંડોળનો સમાવેશ થાય છે. વનતારા ખાતે હાથીની સેવા કરવા માટે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલથી સજ્જ છે, જે એલોપેથી, આયુર્વેદ અને એક્યુપંક્ચર સહિત અદ્યતન પશુ તબીબી સંભાળ પૂરી પાડે છે. આ હોસ્પિટલમાં હાઈડ્રોથેરાપી તળાવ, હાઈપરબેરિક ઓક્સિજન ચેમ્બર અને ખાસ પગની સંભાળ જેવી અત્યાધુનિક સુવિધાઓ છે.

Author: jamnagaruday
Post Views: 350