વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 1-2 માર્ચે ગુજરાતના પ્રવાસે આવાના છે, ત્યારે જામનગર જિલ્લાની મુલાકાત લેવાના હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 માર્ચની રાત્રીએ જામનગરના સર્કિટ હાઉસમાં રોકાણ કરે તેવી શક્યતા છે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. જ્યારે 750થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરવાની કામગીરી શરૂ છે. વડાપ્રધાન જામનગર ખાતે વનતારામાં મુલાકાતમાં લઈ શકે છે.
રાજ્યમાં આગામી 1 અને 2 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસ પર છે, ત્યારે 1 માર્ચના રોજ વડાપ્રધાન જામનગર જિલ્લાની મુલાકાત લેશે. જેમાં જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરે તેવી સંભાવના છે. જો કે, વડાપ્રધાનના જામનગરના પ્રવાસને લઈને હજુ સુધી સંપૂર્ણ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ નથી. જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીની રાહબર હેઠળ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લેવાના છે, ત્યારે જામનગરના એરપોર્ટથી છેક લાલ બંગલા-સર્કિટ હાઉસ સુધી કોરીડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે એરપોર્ટથી જામનગરના લાલ બંગલા સુધીના રૂટ પર બેરીકેટિંગ સહિતની કામગીરીને લઈને તંત્ર તૈયારીમાં છે. જ્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં 750થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો સહિતના પોલીસ કાફલાની બંદોબસ્તની સ્કીમ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
