CM ડેશબોર્ડ, ઈ-ધરા કેન્દ્રો,લેન્ડ ગ્રેબિંગ, ઓનલાઈન પોર્ટલ અને મહેસૂલી મુદ્દાઓ સંબંધે વિગતવાર સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચના આપતા કલેકટર
જામનગર: જામનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મહેસુલી અધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સામાન્ય શાખા, જમીન શાખા, ઈ-ધરા શાખા, ફોજદારી શાખા, ડી.આઈ.એલ.આર.કચેરી અને પુરવઠા કચેરીની કામગીરી વિષે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીશ્રીઓ પાસેથી તેમની કામગીરી અંગે વિગતો મેળવી કલેકટરશ્રીએ પડતર પ્રશ્નોનો હકાત્મક ઉકેલ લાવવા તથા કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેમાં સીએમ ડેશબોર્ડની કામગીરી, લેન્ડ ગ્રેબિંગ અંગેની બાકી અરજીઓ, નેટીવીટી સર્ટીફીકેટ અંગેની અરજીઓને લઈને મામલતદાર કચેરીઓ તરફથી કરવામાં આવેલ કામગીરી, ડોમીસાઈલ અને કાસ્ટ સર્ટીફીકેટ અંગેની કામગીરી, આરટીઆઈ, જમીન માપણી, રાશનકાર્ડનું ઈ- કેવાયસી, સસ્તા અનાજની દુકાનોમાં નુકશાન પામેલ જથ્થાનો યોગ્ય નિકાલ કરવો, ઈ-ધરા કેન્દ્રો, સરકારી લ્હેણાની વસુલાત, રેવન્યુ રીકવરી સર્ટીફીકેશન, પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારોની ક્ષેત્રીય કામગીરીના મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ લગત અધિકારીશ્રીઓને સૂચનો આપતા જણાવ્યું હતું કે, તેઓના તાબા હેઠળના પેન્ડીંગ કેસોનો ત્વરિત ઉકેલ લાવી કામગીરી હકારાત્મક દિશામાં થાય તે પ્રકારે આયોજન હાથ ધરવા તેમજ મહેસુલી અધિકારીઓ પાસેથી સરકારી જમીનો ઉપર થયેલા દબાણો શોધવા પર ભાર મૂક્યો હતો. તેમજ જમીન માપણી અને રીસર્વેને લગતી કામગીરીનો હકારાત્મક દિશામાં ઉકેલ લાવવા સૂચન કર્યું હતું. અને કર્મચારીઓ દ્વારા કરાતી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થાય તેના પર ધ્યાન આપવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, પ્રાંત અધિકારીશ્રીઓ, ડિસ્ટ્રીકટ ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ શ્રી કે.એન.ગઢીયા, મામલતદારશ્રીઓ, લગત અધિકારીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા.
